Monday, January 11, 2010

પિતાનો પુત્ર ને વારસો

જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ...............

૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે.
૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે.
૦૩. દરેક બાબતમાં ઉત્તમતા રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
૦૪. આપણાંથી જે પણ સારૂં થઈ શકે તેમ હોય તો અવશ્ય કરવું, કશુંજ ન કરવું એમ ન રહેવું.
૦૫. સંપૂર્ણતા માટે નહિં પણ શ્રેષ્ઠતા માટે મથજે.
૦૬. જે તુચ્છ છે તેને પારકિ લેતા શીખજે, ને પછી તેની અવગણના કરજે.
૦૭. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા કરજે.
૦૮. લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
૦૯. પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક ઓછો ન આંકવો, બીજામાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.
૧૦. ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, કયારે મૂંગા ન રહેવું તેનો પણ ખ્યાલ રાખજે.
૧૧. એવી રીતે જીવન જીવજે કે કયારેક પણ તારી ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા સૌ સાંભરે.
૧૨. જેમને એ વાતની કદી પણ જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારૂં કરતાં રહેવાની આદત કેળવજે.
૧૩. વિચારો મોટા કરજે પણ નાના આનંદો માણી જાણજે.
૧૪. કોણ સાચું છે તેની ફિકર કરવામાં ઓછો સમય ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે સમય ગાળજે.
૧૫. જે ગાંઠ છૂટી શકે તેને કદાપિ કાપતો નહિં.
૧૬. દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
૧૭. એટલું સમજજે કે સુખના આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિં પણ આપણે જેમને ચાહતા અને સમજતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો ઉપર છે.
૧૮. "મને ખબર નથી" એમ કહેતા ડરતો નહિં, "મારાથી ભૂલ થઈ" એમ કહેતાં અચકાતો નહિં અને "હું દિલગીર છું" એટલું બોલતા ખચકાતો નહિં.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...